( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર , 9 નવેમ્બર 2023)
વારંવાર કહ્યું છે અને દિલથી કહ્યું છે, મનમાં જે અનુભવ્યું છે તે જ કહ્યું છે કે હું તો વર્ણાશ્રમમાં માનવાવાળો છું: જન્મ વાણિયા કોમમાં થયો એટલે વૈશ્ય છું, લેખન-સાહિત્ય સાથે સંકળાયેલો છું અને સંપૂર્ણ આજીવિકા આ જ ક્ષેત્રમાંથી આવે છે એટલે કર્મે બ્રાહ્મણ છું. સ્વભાવે ક્ષત્રિય છું જેનો પરિચય ક્યારેક મારાં લખાણો દ્વારા વાચકોને અને ક્યારેક મારાં વાણી-વર્તન દ્વારા સ્વજનોને થતો રહે છે, પણ મારું ધ્યેય શુદ્ર બનવાનું છે. મારામાં રહેલો કચરો સાફસૂફ કરીને જાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન મેં મોદીજીના સ્વચ્છતા અભિયાનના દાયકાઓ પહેલાં શરૂ કરી દીધું હતું અને છેલ્લા શ્વાસ સુધી એનો અંત નહીં આવે એની ખબર છે છતાં અભિયાન અવિરત ચાલુ જ છે. મારામાં જ નહીં, મારી આસપાસ સૌનામાં, મારા સમાજમાં, દેશમાં-દુનિયામાં જ્યાં જ્યાં વૈચારિક ગંદકી પડેલી છે, જ્યાં જ્યાં માનસિક અસ્વચ્છતા દેખાઈ રહી છે તે દરેક જગ્યાએ જઈને હું મારું આ શુદ્રકાર્ય કરી રહ્યો છું, કરતો રહીશ.
કરતો રહીશ એવા આત્મવિશ્વાસનું કારણ એ છે કે મા સરસ્વતીના મારા પર ચારેય હાથ છે, મારા પર જ નહીં દરેક લેખક-સર્જક, કોઈ પણ કળાકારના માથા પર મા સરસ્વતીના ચાર હાથ હોય જ છે. ચારેય હાથે મળતા આશીર્વાદને પામવાની, પોતાનામાં સમાવવાની દરેકની પાત્રતા જુદી જુદી હોય એ સ્વાભાવિક છે. ઈવન એક જ વ્યક્તિની પાત્રતા જુદા જુદા સમયે જુદી જુદી હોવાની.
આજે આસો વદ બારસનો દિવસ. પ્રોફેશનલી અમારા લોકો માટે વરસનો સૌથી મહત્ત્વનો દિવસ. વાક્ બારસ. સરસ્વતીપૂજનનો દિવસ. બંગાળીઓ વસંતપંચમીના દિવસે સરસ્વતીપૂજન કરે. આર. ડી. બર્મન એ દિવસે પોતાને ત્યાં સારું સારું ખાવાનું બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તેમ જ અંગત મિત્રોની આગતાસ્વાગતા કરતા.
વાક્ બારસના દિવસે દાયકાઓથી સુરતમાં પરંપરા છે, મુશાયરો યોજીને સરસ્વતીની વંદના કરવાની. મારા માટે આજે સ્પેશ્યલ ડે ખરો પણ મારી ઉજવણી મનોમન થવાની. આમ તો હું રોજે રોજ લખું એટલે રોજેરોજ સરસ્વતીપૂજન થતું હોય એવો માહોલ હોય મારી સ્ટડીમાં. વરસે દહાડે પાંચસો જેટલા લેખ લખાય. ધારી એ તો દર મહિને બસો-સવા બસો પાનાનું એક પુસ્તક પ્રગટ કરી શકાય. પણ એવું નથી થતું. શું કામ નથી થતું? કારણ કે દરેક લેખ પુસ્તક આકારે, કાયમી સ્વરૂપ પામવાની પાત્રતા ધરાવતો નથી હોતો. શું કામ નથી? શું એ દિવસે મા સરસ્વતીના ચાર હાથ માથા પર નથી હોતા?
ના, એવું નથી. સરસ્વતીના આશીર્વાદ તો ટ્વેન્ટી ફોર બાય સેવન હોવાના. પણ જ્યારે લખવા બેસીએ ત્યારે એ આશીર્વાદ ઝીલવાની તમારી પાત્રતા હન્ડ્રેડ પર્સેન્ટ હોય તો જ વાત બને. પાત્રતા વિના મળતા આશીર્વાદ ઊંધા ઘડા પર ઢોળાતા પાણીની જેમ વેડફાઈ જાય. પાત્રતા ન હોય એવી ઘડીઓ રોજ રોજ આવવાની. પાત્રતા ન હોય એવા દિવસો પણ આવતા રહેવાના. આશીર્વાદ જેમ ટ્વેન્ટી ફોર બાય સેવન વરસતા રહે છે એમ એને ઝીલવાની તમારી પાત્રતા પણ ટ્વેન્ટી ફોર બાય સેવન બનેલી રહે તો તો તમે સંત કોટિએ પહોંચી જાઓ. વેદ વ્યાસ, તુલસીદાસ, સુરદાસ, નરસિંહ અને મીરાંની કોટિનું લખતાં થઈ જાઓ. પણ એવું થતું નથી, કારણ કે તમારો પનો આ આશીર્વાદ ઝીલવા માટે ટૂંકો પડે છે.
સરસ્વતીના આશીર્વાદ ઝીલવા માટે સૌથી મોટી જરૂરિયાત એકાગ્રતાની પડે. બીજી બધી જ વાતો સેકન્ડરી. અગ્રતાક્રમે એકાગ્રતા. જરૂરી નથી કે એ એકાગ્રતા તમને તમારા સ્ટડી રૂમના એકાન્તમાં જ મળે. પ્રવાસો દરમ્યાન કોઈ પણ સ્થળે, કોઈ પણ સંજોગોમાં તમારે લખવું પડે. શ્રીનાથદ્વારામાં શ્રીજીબાવાનાં રાજભોગનાં દર્શનનો સમય થાય તે પહેલાં કમલચોકમાં રાહ જોતાં જોતાં પણ લખાયું છે અને કોર્ટમાં લંચ સમયે કે માથેરાનમાં વરસતા વરસાદને માણતાં પણ લખ્યું છે નાટકનું રિહર્સલ ચાલતું હોય ત્યારે ડિરેક્ટર સાથે ચર્ચા કરતાં પણ લખાયું છે. ટ્રેનોમાં તો ખરું જ. લગભગ દોઢસો જેટલાં વિવિધ લોકેશન્સ પર લખ્યું હશે. ઘણીય વખત એવું બને કે સ્ટડી રૂમ કરતાં વધારે સારું લખાયું હોય. ઘણી વખત સારું ન પણ લખાય.
સ્થળનો નહીં એકાગ્રતાનો મહિમા છે. આસપાસના ઘોંઘાટ, વિવિધ પ્રવૃત્તિઓ, વ્યક્તિઓ બધું જ તમારા માનસમાંથી ભૂંસાઈ જાય ત્યારે આ એકાગ્રતા આવતી હોય છે. કૃત્રિમ રીતે પલાંઠી મારીને બેસીને કરેલા ધ્યાન કરતાં કંઈક ગણી ઊંચી અવસ્થા છે આ એકાગ્રતા. જેમણે અનુભવી હોય એમને જ સમજાય. આ એ અવસ્થા છે જ્યારે દિમાગમાં ધસમસતા તમામ વિચારો તમારું કહ્યું માનતા થઈ જાય. એ વિચારોને વ્યક્ત કરવા માટેના શબ્દો આમ તમારી આંખ સામે ઝૂલતા દેખાય, દ્રાક્ષના ઝૂમખાની જેમ અને તમે એક એક શબ્દ એમાંથી વીણો – ક્યાંક કોઈ કાચો ન હોય, ક્યાંય કોઈ વધુ પડતો પાકી ન ગયો હોય અને દરેકમાં ખટમધૂરો રસ હશે એની ખાતરી તમને માત્ર એને જોઈને જ થઈ જાય. કાગળ પર સડસડાટ એ શબ્દો ઉતરતા હોય ત્યારે ડિઝનીલૅન્ડની કોઈ પણ થ્રિલિંગ રાઈડ કરતાં પણ વધુ રોચક એવી રોલર કોસ્ટર રાઈડમાં બેઠા હો એવું લાગે.
એકાગ્રતા પછીના ક્રમે આવે અભ્યાસ. સંગીતકારોનો રિયાઝ માટે ચોક્કસ સમયગાળો હોય છે. લખવાવાળાઓ માટે, ખાસ કરીને મારા પ્રકારનું લખવાવાળાઓ માટે આ રિયાઝનો સમય ચોવીસ કલાકનો હોવાનો. વાંચવાનું, સાંભળવાનું અને જોવાનું. આંખકાન ક્યારે સતેજ રાખવાં અને ક્યારે બંધ કરી દેવાં એની જો સમજ પડી ગઈ હોય તો આ રિયાઝ વધુ સારી રીતે, એનર્જી બચાવીને થઈ શકે. રિયાઝ જેટલો વધારે એટલી સર્જનની ગુણવત્તા ઊંચી – સબ્જેક્ટ ટુ ધ કંડિશન ઑફ એકાગ્રતા. કૉન્સન્ટ્રેશન વિના તમામ અભ્યાસ, બધો જ રિયાઝ પાણીમાં જવાનો.
એકાગ્રતા અને અભ્યાસ પછી આવે આનંદ – મન પ્રફુલ્લિત રહેવું જોઈએ. સારા-નરસા તમામ સમયમાં. સાચી-ખોટી તમામ વ્યક્તિઓને મળતા હો ત્યારે. સાનુકૂળ સંજોગોમાં અને કપરામાં કપરા સંજોગોમાં પણ મનની બારી ઉઘાડી રાખી હશે તો તાજી હવાની અવરજવર આપોઆપ થતી રહેશે અને પ્રફુલ્લિત બનવા માટે રોજ વહેલી સવારે ઊઠીને ગાર્ડનમાં જઈને લાફટર ક્લબના બીજા મેમ્બરો સાથે મળીને કૃત્રિમ તરીકાથી હા-હા-હા કરીને ગાંડાવેડા નહીં કરવા પડે. મનની બારી ખુલ્લી રાખવાની મહત્તા સારસ્વતો પામી ગયા હોય છે. એટલે જ અમારા ક્ષેત્રના બે સદગત મહારથીઓની કૉલમનાં નામ હતાં: ‘મારી બારીએથી’ અને ‘વાતાયન’. પહેલી સુરેશ દલાલની મોરપિચ્છ કલમે લખાતી. બીજી ચંદ્રકાંત બક્ષીની ચાબુકથી લખાતી, એમની પાસે ચાબુક હતી. કોઈક વિદેશી લેખકે કહ્યું હતું કે મનનું પૅરેશૂટ જેવું છે, ઉઘાડું હોય તો જ કામ આપે. જે સરસ્વતીપુત્રો મનને ઉઘાડું રાખતાં શીખી જાય છે તેઓ સંકુચિત માહોલમાંથી નીકળીને આખા બ્રહ્માંડના બની જાય છે. મનની અગાધ શક્તિઓ ત્યારે જ અનુભવી શકાય જ્યારે એ ખુલ્લું હોય. આનંદમાં રહેવાનો એક માત્ર ઉપાય, સંકુચિતતા ત્યજી દીધી હોય એવું ઉઘાડું મન.
આ ત્રણ વાતો આજના પવિત્ર દિવસે તમારી સાથે શેર કરી. મા સરસ્વતી તો આશીર્વાદ આપતી જ રહે છે, ચારેય હાથે, ચોવીસે કલાક. પ્રાર્થના એટલી જ કે પાત્રતા વધતી જાય અને આ મહામૂલા આશીર્વાદ ઝીલવાનો પનો ક્યારેય ટૂંકો ન પડે એવા તબક્કે ઈશ્વર લઈ જાય.
આજનો વિચાર
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
– મનોજ ખંડિરેયા
(આ પંકિતનો મર્મ સમજવા જેવો છે. નરસિંહ મહેતાને શિવજીના આશીર્વાદથી કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરવાની તક મળી. શિવજીએ નરસિંહને પોતાનો મશાલિયો બનાવ્યો જેથી કૃષ્ણને કોઈ આગંતુક-ઈન્ટ્રડર છે એવું ના લાગે. રાસલીલા જોતાં જોતાં નરસિંહ એટલા તન્મય થઈ ગયા, એકાગ્ર થઈ ગયા કે મશાલમાં કુપ્પીમાંથી તેલ ભરવાનું જ ભૂલી ગયા અને એક તબક્કે મશાલની જ્વાળા એમના હાથને બાળતી થઈ ગઈ. જ્વાળાનો રંગ બદલાયેલો જોઈને કૃષ્ણનું એ તરફ ધ્યાન ગયું ને એમને રિયલાઈઝ થયું કે આ કોઈ મારો સાચો ભક્ત છે. એકાગ્રતા. કૉન્સન્ટ્રેશન. હવે મનોજ ખંડેરિયાનો શેર ફરી વાંચો. વધારે મઝા આવશે.)
••• ••• •••
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભભાઈ, અમે નસીબદાર છીએ કે અત્યારે આ સમયમાં તમારા લેખો વાંચી શકીએ છીએ! ચંદ્રકાંત બક્ષી,હરિન્દ્ર દવે, હસમુખ ગાંધી, વિજયગુપ્ત મૌર્ય જેવા ધુરંધરોના સમયમાં ઉમર નાની હતી તેથી બહુ લાભ ન લઈ શક્યા. એ સમયગાળો કેવો હશે? તે સુવર્ણ યુગ વિષે એક લેખ લખજો.
That’s a very good idea! I will remember to write about that era! Thanks 🙏🏻
સરસ્વતીની કૃપા આપ પર સદા બની રહે 🙏
સરસ. બહુ સરસ.
SHUBH DIPAVALI AAVU J SARAS LAKHTA RAHO..MA SARASWATI NE PRATHANA 🙏🙏
સૌરભભાઈ અને ન્યુઝપ્રેમી પરીવારને દીવાળી તહેવારની શુભેચ્છાઓ અને આવનારા નવા વરસના સાલ મુબારક